અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી હતી કે તેઓ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)ને નબળો ન કરે. IEEPAનો ઉપયોગ ઘણીવાર અમેરિકન પ્રતિબંધ નીતિમાં કરવામાં આવે છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર વધારાની સત્તા આપે છે. તેનો ઉપયોગ કરીને ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા “ટ્રુથ” પર પોસ્ટ કરી અને દાવો કર્યો કે ટેરિફથી અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે. તેમણે લખ્યું કે ‘ટેરિફનો શેરબજાર પર ભારે સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. લગભગ દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ ઉપરાંત આપણા દેશના ખજાનામાં સેંકડો અબજો ડોલર આવી રહ્યા છે.’
ટ્રમ્પે કોર્ટને ચેતવણી આપી હતી કે, ‘જો IEEPAના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે, તો આના થી અમેરિકાની ઇકોનોમી નાશ પામી જશે . જો આવું થશે, તો 1929 જેવી મહામંદી આવશે. પછી અમેરિકા આવી ન્યાયિક સંકટમાંથી બહાર નીકળી શકશે નહીં. જોકે, મને અમેરિકન ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે. આ નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હોવો જોઈતો હતો, જેથી દેશની આર્થિક ગતિ વધુ સારી હોત.’
રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ટાંકીને ટ્રમ્પે વારંવાર વેપાર પ્રતિબંધો લાદવા માટે IEEPAની મદદ લીધી છે. IEEPA હેઠળ રાષ્ટ્રપતિની શક્તિઓની મર્યાદાઓ પર વધતી કાનૂની તપાસ વચ્ચે તેમની ટિપ્પણી આવી છે. ઘણા કાનૂની નિષ્ણાતોનો તર્ક છે કે, વેપાર નીતિમાં આ કાયદાનો ઉપયોગ તેના મૂળ હેતુ સાથે દગો છે.
1929માં અમેરિકન શેરબજારમાં ઘટાડા પછી શરૂ થયેલી મહામંદી આધુનિક ઇતિહાસની સૌથી ગંભીર આર્થિક મંદી હતી. આના કારણે બેંકો મોટાપાયે નાદાર થઈ ગઈ, લોકો બેરોજગાર થઈ ગયા, ઔદ્યોગિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારમાં ભારે ઘટાડો થયો. આની અમેરિકા અને વિશ્વની અર્થવ્યવસ્થા પર લાંબા ગાળાની અસર પડી.